સુરત : AAP ના 'હાઉ' સામે 'ભાઉ' નું ટેંશન વધ્યું : મેયરને પત્ર લખી કરી આ મોટી માંગ

સુરત : AAP ના 'હાઉ' સામે 'ભાઉ' નું ટેંશન વધ્યું : મેયરને પત્ર લખી કરી આ મોટી માંગ

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત :  સુરત મહાનગરપાલિકામાં આ વખતે આમ આદમી પાર્ટીની ૨૭ બેઠકો ઉપર ભવ્ય જીત થતાની સાથે જ ભાજપ ના અનેક મનસૂબા પર પાણી ફરી વળ્યું હતું. જોકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના હોમટાઉન માં જ આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતાં પાટીલે જાહેર ભાષણમાં કહ્યું હતું કે સોનાની થાળીમાં લોઢાનો હથોડો પડ્યો છે.

જોકે આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકાના મેયર ને વિવિધ વેરાઓ માફ કરવા માટે ઉગ્ર રજૂઆત કરાઈ હતી. જેને લઇને ભાજપની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ હતી. જેથી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા યોજાયેલી બેઠકમાં 15 ચોરસ મીટર સુધી ના રહેણાંક મિલકત વેરા ચાર્જીસ કરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. આમ મહાનગરપાલિકાના આ નિર્ણયથી આમ આદમી પાર્ટી ની પ્રથમ પ્રજાલક્ષીય રજૂઆતો સંદર્ભે જીત થઈ હતી.

જોકે આમ આદમી પાર્ટી દ્વારા સંપૂર્ણ વેરામાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. ત્યારે સુરત નવસારીના સાંસદ એવા ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા પણ સુરત મહાનગરપાલિકાના મેયર ને એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં 15 થી 25 ચોરસ મીટર સુધીના રહેણાંક મિલકત માં પણ વેરા અને યુઝર્સ ચાર્જમાં 50%  તથા 25 ચોરસ મીટર સુધીની બિનરહેણાંક મિલકત માં 25%  સુધીની રાહત આપવાની ભલામણ કરવામાં આવી હતી.

જોકે મહાનગરપાલિકાના પરિણામો પરથી સ્પષ્ટ થયું હતું કે સુરતના કતારગામ અને વરાછા વિસ્તારમાં મતદારો ભાજપથી ખૂબ જ નારાજ છે. ત્યારે આવનારી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં હજૂ પણ ભાજપને મોટો ફટકો પડી શકે એમ છે. જેથી પરિસ્થિતિનો ચિતાર સમજી ગયેલા ભાજપ પ્રદેશ પ્રમુખ એ આમ આદમી પાર્ટી દ્વારા જે માગણી કરવામાં આવી તે જોતા તેમણે પણ મેયરને પત્ર લખી વધુ રાહત આપવા માટેની માંગ કરી છે. આમ ક્યાંક ને ક્યાંક ભાજપને હવે આમ આદમી પાર્ટીનો છૂપો ડર સતાવવા લાગ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.