ઊંઝા : નગર પાલિકાના ટાઉન હોલની વાયરલ આમંત્રણ પત્રિકા બની ચર્ચાસ્પદ ? સહકાર મંત્રીને ગુજરાતના પ્રભારી મંત્રી બનાવી દીધા !

ઊંઝા : નગર પાલિકાના ટાઉન હોલની વાયરલ આમંત્રણ પત્રિકા બની ચર્ચાસ્પદ ? સહકાર મંત્રીને ગુજરાતના પ્રભારી મંત્રી બનાવી દીધા !
સોશ્યલ મીડિયામાં વાયરલ આમંત્રણ પત્રિકા અને ટાઉન હોલ ની જૂની તસવીરમાં દૃશ્યમાન થાય છે

( સુના સો ચુના & દિખા સો લિખા) : ઊંઝામાં 7.90 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા ટાઉનહોલ નું 31 ઓગસ્ટ ને ગુરુવારે સવારે 10:00 કલાકે મુખ્યમંત્રી ના હસ્તે લોકાર્પણ થનાર છે ત્યારે આ કાર્યક્રમની એક આમંત્રણ પત્રિકા સોશ્યલ મીડિયા વાયરલ થઈ છે જે નગરજનો માં ખૂબ ચર્ચાસ્પદ બની છે.

આમંત્રણ પત્રિકામાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ના નામ નીચે માન.પ્રભારી મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય નો ઉલ્લેખ કરાયો છે, ખરેખર જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત સરકાર ના સહકાર મંત્રી છે અને મહેસાણા જિલ્લા સંગઠન ના પ્રભારી મંત્રી છે.પણ કાર્ડમાં પ્રભારી મંત્રી,ગુજરાત રાજ્ય નો જ ઉલ્લેખ હોવાથી રમૂજ એ થઈ છે કે જગદીશ વિશ્વકર્મા સહકાર મંત્રી છે કે પ્રભારી મંત્રી ? આમંત્રણ કાર્ડમાં નેતાજી નો હોદ્દો લખવામાં પણ ગોટાળા કરનાર પાલિકા શાસકોએ અઢી વર્ષના શાસનમાં કેટલા ગોટાળા કર્યા હશે ? એ નગરજનો એ અખબારોમાં અનેકવાર વાંચ્યું હશે ! ધારાસભ્યનું નામ લખવામાં પણ પ્રોટોકોલ ન જળવાયો હોવાનો માનવામાં આવી રહ્યું છે.

બીજી વાત કરીએ તો કાર્ડમાં ઉદઘાટન શબ્દ નો પ્રયોગ થયો છે.જો કે કોઈ સાર્વજનિક ઉપયોગ માટે હોય તેને લઈને ખાસ કરીને ઉદઘાટન ને બદલે લોકાર્પણ શબ્દ નો પ્રયોગ વધારે યોગ્ય મનાય છે. સામાન્ય રીતે માલિકી હક, જે સાર્વજનિક ના કહી શકાય, જેનો ઉપયોગ તમામ આમ જનતા ના કરી શકે એના માટે ઉદ્ઘાટન શબ્દ પ્રયોજાતો હોય છે.ખેર જાવ દો ઉદ્ઘાટન અને લોકાર્પણ શબ્દના મર્મમાં અટવાયેલા પાલિકાનાં સત્તાધીશો એ જ્યારથી શાસન સંભાળ્યું ત્યારથી અનેક વિવાદોમાં સપડાયેલા છે એ વાત તો જગ જાહેર છે.ગુજરાતની સૌથી મોટી વિવાદિત ઊંઝા નગર પાલિકા કહીએ તો પણ કદાચ અતિશયોક્તિ નહિ ગણાય !