Exclusive : કોરોના થી ઘાતક કોરોનાનો હાઉ ! કે પછી પેટ્રોલ-ડીઝલ સહિતના ભાવવધારા મુદ્દે ઉદભવતા રોષને દબાવી દેવાનો તખ્તો ?

Exclusive : કોરોના થી ઘાતક કોરોનાનો હાઉ ! કે પછી પેટ્રોલ-ડીઝલ સહિતના ભાવવધારા મુદ્દે ઉદભવતા રોષને દબાવી દેવાનો તખ્તો ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન અનેક રાજકીય કાર્યક્રમો પ્રચાર અર્થે યોજાયા જેમાં લોકોની ભારે ભીડ નેતાઓએ બેશરમ બનીને એકત્ર કરી હતી જેના પરિણામે કોરોનાનું સંક્રમણ વધ્યું છે.જોકે આ વાત સૌ કોઈ જાણતું હતું છતાં પણ નેતાઓએ પોતાના રાજકીય લાભ ખાટવા માટે આંખ આડા કાન કરીને રેલીઓને સમારંભો કરી કોરોના નું સંક્રમણ વધાર્યું.

જો કે ગુજરાતના કહેવાતા સંવેદનશીલ મુખ્યમંત્રી દોષનો ટોપલો ગુજરાતની જનતા ઉપર ઢોળી રહ્યા છે. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સેન્ચ્યુરી મારવાની પૂરી તૈયારી માં છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ લોકોમાં પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોને લઇને ભારે રોષ હતો પરંતુ કોરોના નું સંક્રમણ વધવાના સમાચારો એ કદાચ પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે જે લોકોમાં રોષ હતો તેને જાણે દબાવી દીધો હોય એવું લાગી રહ્યું છે જોકે આમ પણ ભાજપ સરકાર કોઈપણ મુદ્દાને ડામી દેવામાં ખૂબ જ હોશિયાર છે.

જ્યારે એવો કોઈ સંવેદનશીલ મુદ્દો કે જેનાથી સરકારને નુકસાન પહોંચી શકે તેમ હોય ત્યારે સરકાર કોઇને કોઇ રીતે એક નવો મુદ્દો લાવીને ઉભો કરી દેતી હોય છે જેથી હલો ચડેલો મુદ્દો ઝડપથી ભુલાઈ જાય. કદાચ પેટ્રોલ-ડીઝલના મુદ્દે પણ એવું જ હોઈ શકે છે. જોકે કોરોના ના વધતા જતા કેસોના મુદ્દાનેે મીડિયા દ્વારા એટલો બધો ઉછાળવામાં આવી રહ્યો છે કે લોકોના માનસ પર માત્ર અને માત્ર હાલમાં એક બીજા lockdown ની આશંકા સેવાઈ રહી છે અને પેલો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા નો મુદ્દો સદંતર ભુલાઈ ગયો છે. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ લોકોએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોંઘવારી જેવા મુદ્દાઓની સહેજ પણ પરવા કર્યા વિના ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા અને સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભગવો લહેરાયો.

મોટાભાગે વિરોધ પક્ષની ભૂમિકામાં રહેલા કોંગ્રેસનો સફાયો થઈ ગયો.જો કે લોકશાહીમાં નબળો વિરોધ પક્ષ હોય તો લોકશાહી માટે ઘાતક પુરવાર થઈ શકે છે. વિરોધ પક્ષ જ્યારે નબળો પડે ત્યારે સરકાર પોતાને મન ફાવે તેમ નિર્ણયો લઈ શકે છે. નબળો વિરોધ પક્ષ અર્થાત લોકશાહીના બદલે સરમુખત્યારશાહી. જો કે જનતાએ ભલે ખોબલે ને ખોબલે મત આપી અને ભાજપને જીતાડી હોય પરંતુ હવે આ જ ભાજપ સરકાર દ્વારા રાજ્યમાં આંશિક lockdown જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. નાના-મોટા વેપારીઓ ના વેપાર ધંધાને ગમે તે રીતે કનડગત કરવામાં આવી રહ્યા છે.

લોકોને માસ્કના નામે લૂંટવામાં આવી રહ્યા છે પ્રજાને કોઈ ના કોઈ પ્રકારે આર્થિક રીતે લૂંટી ને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જ્યારે ભાજપના નેતાઓ દ્વારા કોઇપણ પ્રકારના ટાયફા કરવામાં આવે તો તેમની સામે કોઇ પણ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી. જો કે એક બાજુ રૂપાણી સરકાર કોરોના નું સંક્રમણ વધવાના ગાણાં ગાતી હતી ત્યારે બીજી બાજુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખીચોખીચ દર્શકોને ભરી અને મેચ રમાડી. જોકે સોશિયલ મિડિયામાં તેનો જોરદાર વિરોધ થતાં બીજા દિવસથી દર્શકો વિના મેચ રમવાનો વારો આવ્યો. પણ જ્યારે પૂર્ણ સંક્રમણ વધી રહ્યું હતું એ સરકાર જાણતી હતી છતાં પણ સરકારે પૂરેપૂરું સ્ટેડિયમ ભરવાનો નિર્ણય શા માટે લીધો ?

એક બાજુ સરકાર કહે છે વેક્સિન આવી ગઈ છે બીજી બાજુ કહે છે કોરોના વધી રહ્યો છે. પહેલા કરતા પણ કોરોના વધારે વધવા લાગ્યો છે. ત્યારે ખરેખર આ બધી વાતો પરથી વિચારશીલ વ્યક્તિ ના મનમાં શંકા ઉદભવે એ સ્વાભાવિક છે. બીજી મહત્ત્વની વાત એ છે કે જે કોરોનાના રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે તેમાં મોટાભાગે લક્ષણો ન હોવા છતાં પણ કોરોના પોઝિટિવ આવતા હોય છે. ત્યારે આવા કેસો ની પણ ગણતરી કરીને સરકાર પ્રજાના માનસ પર કોરોનાનો હાઉ ઉભો કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક પોતાની નિસ્ફળતાઓને છુપાવી રહી હોય તેવું સમાજના વિચારશીલ અને બુદ્ધિજીવી લોકોનું માનવું છે.