સિધ્ધપુર : વરસાદ પડતાં કાત્યોકના મેળા ના રંગમાં ભંગ પડ્યો, જુઓ મેળાની તસવીરો

સિધ્ધપુર : વરસાદ પડતાં કાત્યોકના મેળા ના રંગમાં ભંગ પડ્યો, જુઓ મેળાની તસવીરો

એસ ટી તંત્ર દ્વારા યાત્રિકો માટે જુદા જુદા રૂટ ની બસો ની વ્યવસ્થા કરાઇ

સુરક્ષા માટે પોલીસ સ્ટાફ તૈનાત

એમબ્યુલન્સ પણ સ્થળ પર હાજર

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સિધ્ધપુર : આજે બદલાયેલા વાતાવરણને લઈને એકાએક સવારે 11:00 વાગે આસપાસ સિદ્ધપુર પંથકમાં વરસાદ પડતા કાત્યોક ના મેળા ના રંગમાં ભંગ પડ્યો હતો અને લોકોને મુશ્કેલીઓ વધી હતી. પવનના સુસ્વાટા સાથે વરસાદ આવવાને કારણે લોકો વરસાદથી બચવા માટે આમતેમ દોડતા જોવા મળ્યા હતા વરસાદ પડતા જ સમગ્ર મેળો ખાલી ખમ થઈ ગયો હતો અને મેળામાં મનોરંજનના સાધનો લઈને આવનાર લોકોને હાલત પણ કફોડી બની હતી.

દેવોના મોસાળ ગણાતા શ્રી સ્થળ સિદ્ધપુરમાં કાર્તિક પૂર્ણિમાના મેળાની શરૂઆત ચાર દિવસથી થઇ ગઇ છે ત્યારે પરંપરાગત રીતે નગરપાલિકા અને તંત્ર દ્વારા શનિવારે કાર્તિક સુદ તેરસના રોજ મેળાને વિધિવત્ રીતે ખુલ્લો મૂકાયો હતો. મેળામાં શનિવાર રાત્રિથી યાત્રિકોનો ધસારો શરૂ થઇ જતો હોવાથી આગામી 3 - 4 દિવસ ભારે ભીડ જામશે. નદીના પટમાં મેળાની જમાવટ થઇ ગઇ છે અને લોકો રાઇડ્સોનો લાભ પણ ઉઠાવી રહ્યા છે ત્યારે પંડિતો અને બ્રાહ્મણો દ્વારા પવિત્ર નદી તટમાં દિવંગત આત્માઓના સ્વજનોના મોક્ષ માટેની તર્પણ વિધિ ચાલતી હોઇ દિવસ રાત્રિ નદી તટ પવિત્ર વેદોક્ત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી ગુંજી રહ્યો છે.

સિદ્ધપુર ખાતેના પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાના લોક મેળાનું મંત્રી એવા સિધ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપુતના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં તેમણે યાત્રિકોને કોઇજ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેમ જણાવ્યું હતું. આ વર્ષે મેળામાં મનોરંજન માટે 5 હોડીયા, ૩ ડોગલા, 3 બ્રેક ડાન્સ, 3 ત્રાંસી, 2 મોતના કુવા, 2 ઝીબ્રા, 2 સળીયા, 2 વિમાન સહીત કુલ 15થી 20 મોટી રાઈડો ઊભી કરાઈછે. આ ઉપરાંત બાળકો માટે પણ રેલ ગાડી, નાના હોડીયા, જીપ સહીતની ચગડોળો ગોઠવી છે. કાર્તિકી પૂર્ણિમાના મેળા દરમિયાન સિદ્ધપુર એસ.ટી વિભાગ દ્વારા 10 બસ અમદાવાદ, 40 બસ પાટણ, ખેરાલુ, મહેસાણા, પાલનપુર તેમજ આજુબાજુના વિસ્તારોમાં જવા મુકાઈ છે.